શું આ શક્ય છે?

આજે દિવ્યભાસ્કરમાંસમાચાર વાંચ્યા. એમાં લખે છે કે રસ્તા પર દૂધ વેચતા માજી આવકવેરો ભરે છે. મને આ સમાચાર વાંચીને બે વિચાર આવ્યા.

1> શું રસ્તા પર દૂધ વેચીને એટલા રૂપિયા કમાવવા શક્ય છે કે જેથી આવકવેરો ભરવો પડે? આ સમાચારમાં જણાવ્યા મુજબ માજી રોજની 400 – 500 થેલીઓ દૂધની વેચે છે. હવે માની લો કે દરેક થેલી પર માજી 50 પૈસા જેટલો તગડો નફો (તગડો એટલા માટે કે મારી માહિતી મુજબ એક થેલી પર નફો 20-30 પૈસાથી વધારે નથી હોતો) લેતા હોય તો પણ મહિને નફો કે જે કરપાત્ર બને તે (500 * 0.5 * 30 ) 7500 રૂપિયાથી વધારે ના થાય. ચલો માજીની ઘરાકી એકદમ સારી ચાલતી હોય તો પણ 10000 રૂપિયાથી વધુ તો ચોખ્ખો નફો ના જ થતો હોવો જોઇએ (અને જો સવારના 2-3 કલાક આપીને 10000 રૂપિયા નફો થતો હોય મહિને તો આ ધંધામાં ઝંપલાવવા જેવું ખરું). વળી માજી રહ્યા સિનીયર સિટીઝન અને એ પણ મહિલા એટલે એમને લગભગ 2.25 લાખ સુધી તો કોઇ આવકવેરો ના ભરવાનો હોય. એટલે ખાલી જો માજી દૂધ વેચતા હોય તો તેમની આવક કરપાત્ર બની જ ના શકે.

2> બીજો વિચાર એ આવ્યો કે જો માજી પોતાની બીજી આવકોને પણ સાચી રીતે જણાવીને આવકવેરો ભરતા હોય તો मा तूझे सलाम  કારણ કે આજે કોને આવકવેરો ભરવો ગમે છ? દરેક જણ (એમાં હું પણ આવી ગયો) કર ના ભરવાના રસ્તા જ ગોતતા હોય છે ને.

એ પણ વિચાર આવ્યો કે દિવ્ય ભાસ્કરવાળા ખાલી ટોમ ટોમ કરે છે અને માજીને રાતો રાત હીટ બનાવી દીધા. 🙂

Shoed out

ચૂંટણીની મૌસમ છે અને રાજનેતાઓ જનતાની અદાલતમાં હાજર થઇ રહ્યા છે. કદાચ આ જ સમય છે જનતા માટે પોતાનો આક્રોશ ખંધા રાજકારણીઓ પર વ્યકત કરવા માટેનો. આ વખતે જો કે જનતાએ એક નવો રસ્તો શોધી કાઢ્યો છે પોતાની નારાજગી વ્યક્ત કરવાનો અને એ છે નેતાઓ પર જોડા ફેંકવાનો. ચિદમ્બરમ પર આ પ્રયોગની શરૂઆત કરાઇ અને હવે લગભગ દર અઠવાડિયે કોઇને કોઇ નેતાનો નંબર લાગી જાય છે. આજે પ્રધાનમંત્રી મનમોહન સિંઘની પણ લોટરી આખરે લાગી જ ગઇ. જોવા જેવી વાત છે કે પ્રધાનમંત્રી પદના બન્ને ઉમેદવાર અડવાણીજી અને મનમોહન સિંઘ બન્ને પર હવે જનતાનો જોડારૂપી આશીર્વાદ વરસી ચૂક્યો છે. (કોઇને ખોટું ના લાગવું જોઇએ ને :))  આ બધાથી બોધપાઠ લઇને મોદી સાહેબ તો હવે કાચની પાછળ રહીને સભાઓ સંબોધે છે. હજી જો કે ઘણા નેતાઓ રહી ગયા છે જેમ કે રાહુલ બાબા, સોનિયા માતા, પવાર સાહિબ, મેડમ માયા, વગેરે વગેરે. મને લાગે છે આ લોકોને પણ થોડા પ્રજાના આશીર્વાદની જરૂર છે.

જો આ રીતે જ ચાલતુ રહ્યું તો ચૂંટણી પતતા સુધીમાં એક પણ નેતા નહીં બચી શકે. જો કે આશીર્વાદ આપવાની આ પધ્ધતિ આમ જ ચાલુ રહી તો જે લોકોને આ આશીર્વાદ નહીં મળે એમને મનદુ:ખ થઇ જશે કે સાલુ જનતાની નજરમાં આપણી આટલી બધી ઇજ્જત? મને  કોઇએ જૂતા મારવા યોગ્ય સમજ્યો જ નહીં?

Fake IPL Player

Those who are die hard fan of cricket and T20 game, currently the festival of IPL is going on in SA for them. I think IPL is not about cricket but it’s all about racking big mullahs, corporatization of game, glamour, bolloywood, babes, dances of cheer leaders and all other evils.

IPL’s seasone 2 has given way to many controversies and each controversy is making it more merrier n spicy to follow. One such controversy is Fake IPL Player blog.  This blog is from (so called) one of the jr. player who is in squad of (so called arrogant king) SRK’s KKR team. Anyone who tracks IPL knows that team KKR is bogged down with many controversies and not doing good at all. This so called Jr. player from KKR team is not doing any good for the team and rubbing salt to wounds of the team in most humourous way by writing out about all the team fightings in open on the blog. Right from Lalit Modi to SRK, every one is worried about this and trying ways to stop this information from leaking out. This blog has become quiet popular now and everyone is tracking it and waiting for the new posts on the blog. Each of his post is getting hundreds of comments and getting more n more popular. I don’t think about the authenticity of what is written on the blog but just read it for pure humour purpose. Recommended for pure humour 🙂

લગે રહો મુન્નાભાઇ

લાગે છે મુન્નાભાઇ (સંજય દત્ત)ને અમરસિંહે રાજકારણનો એકદમ પાક્કો રંગ લગાવી દીધો છે. હવે મુન્નાભાઇ ચૂંટણી પ્રચાર કરવા જાય છે. લોકોને જાદૂની જપ્પી આપવાની વાતો કરે છે. જો કે આજે સવારે સમાચારમાં એમનું એક નિવેદન સાંભળીને મને ખરેખર બહુ નવાઇ લાગી.

મુન્નાભાઇ કહે છે કે નરગીસના (એટલે કે મુસલમાન માતા) સંતાન હોવાની કિંમત મારે મારી જીંદગીમાં ચૂકવવી પડી છે. મને ખબર ના પડી કે શું કિંમત ચૂકવવી પડી છે? મુન્નાભાઇએ કાયમથી એશોઆરામવાળી જીંદગી જીવી છે અને બંદૂકો રાખીને અને ચરસ ગાંજો પીને પકડાયા અને જેલ પાછળ ગયા તો એમાં મુસલમાના માતાનો વાંક છે? મને એમ થાય છે કે આ લોકો ગરીબ અભણ પ્રજાને કેવી ઉલ્લુ બનાવે છે. ગામડાની અભણ પ્રજાને મુન્નાભાઇ જોવા મળે અને મુન્નાભાઇ બે ચાર સંવાદો બોલી નાખે ફિલ્મોના એટલે અભણ પ્રજા ખુશ અને દબાવી આવે સાઇકલની(સાઇકલ સમાજવાદી પાર્ટીનું ચૂંટણી પ્રતિક છે) પાસેનું બટન. આનું જ નામ કદાચ લોકશાહી….

બીજી એક વાત એ પણ ઘણી વખત હું વિચારું છું કે અમરસિંહમાં લોકોના બ્રેઇનવોશ કરવાની કેટલી અદભૂત આવડત છે. કેટલા નામચિહ્ન લોકોને બકરા બનાવીને સમાજવાદી પાર્ટીમાં સામેલ કરી દીધા. અમરસિંહની પાર્ટી એમ કહે છે કે કોમ્પ્યુટરનો ઉપયોગ ના થવો જોઇએ. અંગ્રેજીનો ઉપયોગ ના થવો જોઇએ. સમાજવાદી પાર્ટીના મેનિફેસ્ટોમાં આ વાત કહી છે. આ બધું જાણ્યા પછી પણ જો લોકો 21મી સદીમાંઅ 18મી સદીનું વિઝન લઇને ચાલતા અમરસિંહની પાછળ દોડ્યા જતા હોય તો એ માણસ ખરેખર જાદૂગર છે. અમરસિંહે બનાવેલા બકરાઓની યાદીમાં બચ્ચન પરિવાર, અનિલભાઇ, મુન્નાભાઇ, નફીસા, જયાપ્રદા, રાજ બબ્બર (એક જમાનામાં) વગેરે સામેલ છે. આ બધાં લોકોને રાજકારણની એવી ભેલપૂરી ખવડાવી કે બધાં લાલ ટોપી પહેરવા તૈયાર થઇ ગયા.

લગે રહો મુન્નાભાઇ…. ગરીબ અભણ પ્રજાને મામુ બનાવે રાખો…..

Long live munnabhai, long live amar sinh, long live India and long live democracy

મારે મત આપવો છે….

આજે આ કબૂલાત કરતા હું શરમ અનુભવું છું કે મારી 31 વર્ષની જીંદગીમાં મેં હજી સુધી ક્યારેય ભારતના નાગરિક તરીકે મતદાન નથી કર્યું. મતાધિકાર મેળવ્યા બાદ કેટલીક લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ ગઇ પણ આજ સુધી ક્યારેય મતદાન નથી કરી શક્યો. મતદાન ન કરી શકવા પાછળ મારે બેદરકારી કે આળસ નહીં પણ સંજોગો જવાબદાર છે. મારા પગે તો મેં જ્યારથી નોકરી ચાલુ કરી ત્યારથી પૈડા જ લાગેલા છે એટલે ફરતો જ રહ્યો છું. એવું ક્યારેય નથી બન્યું કે હું ચૂંટણી દરમ્યાન અમદાવાદમાં હોઉ અને મારી આળસ કે કામની વ્યસ્તતાને લીધે મેં મતદાન ના કર્યું હોય. મોટા ભાગનો સમય હું બહાર જ રહેતો હતો અને અમુક વખત પ્રમાણિક પ્રયત્નો કરવા છતાં પણ હું મત આપવા માટેની મારી પ્રાથમિક ફરજ પૂરી નથી કરી શક્યો. હવે તો હું ઇન્ડિયામાં છું નહીં એટલે ક્દાચ આ સપનું પૂરું થશે કે નહીં ખબર નહીં.

મારા જેવા જો કે ઘણાં લોકો હશે જે એક યા બીજા કારણોસર અને સંજોગોના લીધે મતદાન નહીં કરી શક્યા હોય. આવા જ એક વ્યક્તિ છે શશી થરૂર. શશી થરૂર વર્ષોથી ભારતનું પ્રતિનિધિત્વ સંયુક્ત રાષ્ટ્રસંધમાં કરતા આવ્યા છે. હાલમાં તેઓ કેરાલામાં તિરૂવનન્તપુરમ સીટ પરથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે.તેઓએ ગઇકાલે યોજાયેલા પહેલા તબક્કાના મતદાનમાં પહેલી વાર ભારતના નાગરિક તરીક મતદાન કર્યું હતું. આ માહિતી શશી થરૂરે ખૂદ પત્રકારોને મતદાન કર્યા બાદ આપી હતી. એમના કહ્યા મુજબ તેઓ 21 વર્ષના હતા ત્યારથી જ ભારતની બહાર હતા એટલે ક્યારેય ચૂંટણીમાં મત નહોતા આપી શક્યા. ( આ નિવેદન મેં આજે સવારે ઝી ન્યુઝ પર જોયું હતું એટલે સાચું ખોટું તો શશી થરૂર અથવા તો ઝી ન્યુઝ જ જાણે).

શશી થરૂરે તો ભારતીય નાગરિક તરીકેની પોતાની મૂળભૂત ફરજ પૂરી કરી દીધી પણ મારા જેવા કેટલાય લોકો કે જે વિદેશમાં છે અને હજી વાદળી પાસપોર્ટ જ રાખે છે એ લોકો ક્યારેય મત આપી શકશે કે નહીં એ ખબર નથી. હવે સમય આવી ગયો છે કે ભારત સરકાર ટેકનોલોજીનો ઉપયોગ કરીને એન. આર. આઇ પ્રજા માટે પણ ઓનલાઇન મતદાનની સુવિધા આપે.અમેરિકાની સરકાર દુનિયા ભરમાં વસેલા પોતાના નાગરિકોને આ દેશની બહાર રહીને પણ મતદાનની સુવિધા આપે છે તો ભારત સરકાર શા માટે નહીં. જો એન. આર. આઇને પણ મતદાનનો અધિકાર મળે તો મારા ખ્યાલથી ચૂંટણીના પરિણામ અને પરિમાણ બન્ને બદલાઇ જાય. એન. આર. આઇ. ભારતીયો જાતિવાદને બાજુમાં મૂકીને વિકાસશીલ ઉમેદવારને જ મત આપે અને આમ થાય તો લાલુ, મુલ્લા અમરસિંહ, પાસવાન, પવાર, રાજ ઠાકરે જેવા ઘણાં તકસાધુઓની દુકાન બંધ થઇ જાય.

ગઇકાલના ચૂંટણીના પ્રથમ તબક્કામાં એવરેજ 60% જેવું મતદાન થયું. ખૂબ જ સારું કહેવાય મારા મતે. હિંસા અને ગુંડાગીરી તો થઇ જ પણ લોકોએ આળસ ખંખેરી દેશ અને પોતાના ભવિષ્ય ઘડવા માટે પોતાનો સમય આપ્યો એ જોઇ આનંદ થયો.

ચૂંટણી દંગલ

આજથી ઇન્ડિયામાં 15મી લોકસભા માટેની ચૂંટણીનો પ્રારંભ થઇ રહ્યો છે. દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશ માટે આ ચૂંટૅણી એ પર્વ સમાન જ કહેવાય. દરેક પક્ષોએ એકબીજા પર પ્રચાર દરમ્યાન ખૂબ કાદવ ઉછાળ્યો છે પણ કોઇએ જનતાની તકલીફોને વાચા આપવાનો પ્રયત્ન નથી કર્યો. આશા રાખીએ કે જનતા સમજદારી વાપરીને એક સુદર્ઢ અને સક્ષમ સરકાર દેશને આપશે જે દેશને વિકાસ અને સમૃધ્ધિના રસ્તે લઇ જાય.

NPA

આજકાલ મારી પાસે NPA (i.e. Non Performing Assets) વધતી જાય છે. સરળ ગુજરાતી ભાષામાં કહીએ તો નુકસાન અને ખોટા ખર્ચા વધતા જાય છે.

1. ગઇકાલે ટેબલ ફેનની બ્લેડ તૂટી ગઇ તરત જ નવો પંખો લાવવો પડ્યો. સસ્તામાં સસ્તો ફેન પણ 30 ડોલરમાં પડ્યો.

2. મારી ટાઇટનની કાંડા ઘડિયાળ આજ કાલ સમયનું માન નથી રાખતી અને એની મરજી પ્રમાણે ચાલે રાખે છે. કાલે સેલ નવો નંખાવવા માટે ગયો હતો તો ઘડિયાળી કહે કે સેલ બરાબર છે એટલે બીજો કોઇ પ્રોબ્લેમ છે. હવે અહીં સિંગાપોરમાં ટાઇટનનો શો રૂમ વાળો ખાલી ઘડિયાળને હાથમાં લેવાના 50 ડોલર માંગે છે અને પછી જે પણ રિપેરીંગ કરે એના અલગથી. 50+ ડોલરનો ખર્ચો જૂની ઘડિયાળ પર કરવો કંઇ રીતે પોષાય એટલે નવી ઘડિયાળ લેવી પડશે અને આ ઘડિયાળ જ્યારેઇન્ડિયા આવીશ ત્યારે દુરસ્ત કરાવીશ.

3. મારા મોબાઇલ ફોન HTC ના ઇઅર પીસમાંથી એક બાજુનું કનેક્શન બહાર આવી ગયું છે. નવું ઇઅરપીસ આવે છે 33 ડોલરમાં. ક્યાંથી પોષાય? થોડા દિવસોથી ઓફિસે જતા સંગીત સાંભળવાનું સાવ બંધ જ થઇ ગયું છે.

4. ઘર માટેનો મોબાઇલ ફોન નોકિયા 6300 એ પણ જવાબ આપી દીધો છે. ખબર નહીં શું મનદુ:ખ થઇ ગયું છે ફોનને કે ચાલુ જ નથી થતો. અત્યારે તો ઘરના લેન્ડલાઇન ફોનના સહારે ગાડુ ગબડે રાખે છે પણ નજીકના ભવિષ્યમાં નવો ફોન તો લેવો જ પડશે.

 

આની સાથે સાથે મારે અમુક બીજા પણ ખરાબ સમાચારો જીરવવા માટે મારી જાતને માનસિક રીતે તૈયાર કરવી પડશે.

1. કાલે અહીંના ટેબ્લોઇડમાં વાંચ્યું કે MAS સિંગાપોર ડોલરને થોડો નબળો બનાવવાનું વિચારે છે. આનો મતલબ મારા જેવા એનઆરઆઇ માણૂસ માટે એ થયો કે હવે ડોલરમાંથી રૂપિયામાં કનવર્ટ કરતા ઓછા રૂપિયા મળશે. હમણા થોડા સમયથી એક ડોલરના 33.3 રૂપિયા મળતા હતાં જે હવે 32.50 રૂપિયાની આસપાસ થઇ જશે.

2. આ વખતે બોનસ કે ભાવવધારો કંઇ આવે એવું લાગતું નથી. બોનસ ના આવે એ આર્થિક રીતે બહુ મોટો ફટાકો છે. અહીં ખાલી સેલેરીમાં પૂરું કરવું મૂશ્કેલ છે.

3. આવતા મહિનાથી સીપીએફમાં પણ 10% વધારે કપાશે. હાથમાં જે આવતા હતા એનાથી પણ ઓછા હવે આવશે.

 

વિચારું છું મૂજ ગરીબનું શું થાશે….. (હું કદાચ અતિશયોક્તિ તો નથી કરી રહ્યો ને? 🙂 )

ટાઉને છે મૌજા હી મૌજા…

નાના છોકરાઓને ખરેખર મજા હોય છે. આખો દિવસ હરવું, ફરવું, ખાવું, પીવું, મોજ મજા કરવી અને મમ્મી પપ્પા જોડે લાડ કરવાના. ટાઉનો પણ આ જ સમય ચાલી રહ્યો છે. હવે અમે લોકો નિયમિત રીતે દર અઠવાડિયે લાયબ્રેરીમાં જઇએ છીએ. એટલે ટાઉ પણ અમારી સાથે જ હોય. એને જો કે લાયબ્રેરીમાં બહુ જ મઝા આવે છે. કદાચ સ્વર્ગનો આનંદ મળે છે લાયબ્રેરીમાં એને.

IMAG0046 

IMAG0047

લાયબ્રેરીમાં નાના છોકરાઓ માટે બે ડબ્બાવાળી નાનકડી ટ્રેન છે. છોકરાઓ ટ્રેનમાં બેસીને ચોપડીઓ વાંચે. ટાઉ પણ મોટા થોથા લઇને ટ્રેનમાં બેસીને વાંચે છે.

IMAG0048

લાયબ્રેરીમાં નાના ખુરશી ટેબલ પણ છે જેના પર બેસીને નાના છોકરાઓ વાંચી શકે. મારું સ્કોલર ટાઉ પણ ગોઠવાઇ ગયું છે.

આજે કોમ્યુનિટી ડેવલેપમેન્ટ સેન્ટર દ્વારા ફેસ્ટીવલ પાર્કમાં હોળીનો પ્રોગ્રામ રાખ્યો હતો. ટાઉને તો બહુ મજા પડી ગઇ આટલા બધાં છોકરાઓ સાથે પાણીમાં રમવાની મજા અહીં ક્યાંથી મળે?

IMAG0049

IMAG0050

IMAG0051

એને હોળી રમવાની એટલી મજા આવતી હતી કે કેટલીય વખત એને કેમેરા સામે જોવા માટે બૂમો પાડવા છતાં પણ મારી સામે જોવાની ફૂરસદ નહોતી. એને આટલા આનંદમાં જોઇને મને કેટલો આનંદ થયો એ અહીં શબ્દોમાં વર્ણવવો અશક્ય છે.

भय हो..

કોંગ્રેસે "સ્લમડોગ કરોડપતિ"ના ગીત "જય હો" ની લોકપ્રિયતાને આ ચૂંટણીમાં વટાવવા માટે આ ગીત પરથી એક એડ બનાવી છે. પણ એની સામે બીજેપીએ પણ "ભય હો"ની એક સરસ એડ બનાવી છે જે મેં "યુ ટ્યૂબ" પર જોઇ.

 

મજા આવી ગઇ. એકદમ બંધબેસતી એડ છે. 

એપ્રિલ ફૂલ

દર વર્ષે 1લી એપ્રિલે આપણા ગુજરાતી દૈનિકો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ વગેરે કોઇ સનસનીખેજ ખબર છાપીને પબ્લિકને ઉલ્લુ બનાવવાનો પ્રયત્ન કરે છે. જો કે આ વખતે મને લાગે છે કે બહુ કારગત રીતે ઉલ્લુ બનાવી શકાય એવી કોઇ ખબર નથી લાવી શક્યા.

ગુજરાત સમાચારમાં ખબર છે અડવાણીની જગ્યાએ નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી લડશે અને નરેન્દ્ર મોદી બીજેપી તરફથી પ્રધાનમંત્રી પદના ઉમેદવાર રહેશે. કોઇના માન્યામાં આવે આ ખબર? રાજકારણીઓ મરી જાય પણ એમનાથી ખૂરશીનો મોહ ના છૂટે.

http://www.gujaratsamachar.com/beta/Amdavad-News/gam010409-18.html

સંદેશવાળાઓ એ તો હદ કરી દીધી. એમણે તો નરેન્દ્ર મોદીના કોઇ અમેરીકન ગોરી સાથે પ્રભૂતામાં પગલા પડાવી દીધા. આ વાત પણ કોઇના માન્યામાં આવે? કોઇ માણસ પોતાની એક આગવી ઇમેજ ઉભી કરીને ચૂંટણી સમયે જ છિન્ન ભિન્ન કરે ખરો ? આપણા દેશની પ્રજા કંઇ ફ્રાન્સ જેવી થોડી છે કે નિકોલસ સાર્કોઝી અને કાર્લા બ્રૂની ની જેમ નરેન્દ્ર મોદીને પણ સ્વિકારી લે.

http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=63647

નોંધ: આ પોસ્ટ મારા બ્લોગ પરની 100મી પોસ્ટ છે. 2જી ઓક્ટોબરના દિવસે જ્યારે પહેલી પોસ્ટ મૂકીને બ્લોગ શરૂ કર્યો હતો ત્યારે મને આશા નહોતી કે હું આટલું ખેંચી શકીશ પણ આખરે મનમાં આવ્યું એ લખતા લખતા સેન્ટ્યુરી મારી જ દીધી. 100 પોસ્ટની વાત ખરેખર જ સાચી છે કોઇ એપ્રિલ ફૂલના દિવસનું ગપ્પુ નથી. 🙂