ગઇ કાલે કસાબના કેસનો ચૂકાદો આવ્યો. મને એ વાતની રાહત થઇ કે આ કેસનો ચૂકાદો બે વર્ષની અંદર આવ્યો (જો કે હજી કસાબને સજા થતા વર્ષો નીકળી જશે, કેટલુંય ખંધું રાજકારણ રમાશે અને કસાબને જીવતો રાખવા લખલૂટ ખર્ચો થશે એ અલગ વાત છે). સાથે સાથે 26/11 કેસના બીજા બે ભારતીય આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા. આ બે ભારતીય આરોપીઓ પર આરોપ હતો કે એમણે હુમલા પહેલા પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓના આકાઓને જરૂરી માહિતી પૂરી પાડી હતી, નક્શા બનાવી આપ્યા હતા અને આતંકવાદી હૂમલા માટે અમુક વ્યવસ્થા કરી આપી હતી. આપણી પોલીસ આ લોકો સામે જડબેસલાક પૂરાવા ના મેળવી શકી. જજ સાહેબે એમ કહીને એ બે આરોપીઓને છોડી મૂક્યા કે તેમણે જે નક્શા બનાવ્યા હતા એના કરતા વધારે સારા નક્શા Google Map પરથી મળી શકે છે. એટલે હવે માત્ર કસાબને જ સજા થશે અને એ પણ થશે ત્યારે થશે. કસાબને મૃત્યુદંદની સજા થતા લોકો ખુશ થયા કે ચલો ન્યાય થઇ ગયો. આતંકવાદીઓને સબક શીખવાડી દીધો. કસાબને સજા મળી (અને એ પણ 2 વર્ષમાં જ) એ આવકાર્ય છે પણ એ સત્ય ના ભૂલવું જોઇએ કે કસાબ તો આખા ધટનાક્રમમાં નાનું રમકડું માત્ર છે જ્યારે મોટા માથા કે જેઓને ખરેખર સજા થવી જોઇએ એ તો પાકિસ્તાનમાં બેસીને મજા કરી રહ્યા છે અને એ લખવાની જરૂર નથી કે એ લોકોનો પાકિસ્તાનમાં વાળ પણ વાંકો નથી થવાનો. ડેવીડ હેડલી કે જેણે ખુદ 26/11ના આતંકવાદી હુમલામાં પોતાની સંડોવણી હોવાનું સ્વિકાર્યું છે એની પૂછપરછ કરવા માટેની પરવાનગી મેળવવા માટે આપણી સરકાર અમેરિકા આગળ ભાઇ બાપા કરી રહ્યું છે. હવે સમાચાર આવ્યા છે કે હેડલીની પૂછપરછ થઇ શકશે પણ એ ભાઇને ભારત સરકારને હવાલે નહીં કરાય. એટલે આપણે ફક્ત કસાબને સજા કરીને ખુશ થઇને મન મનાવી લેવાનું અને બીજા આવા મોટા આતંકવાદી હુમલા ના થાય એ માટે ભગવાનને પ્રાર્થના કરતા રહેવાની. 26/11ના આતંકવાદી હૂમલાના લીધે 166 લોકોના મોત થયા, લગભગ 300 લોકો ઘાયલ થયા, કરોડો રૂપિયાનું નુકશાન થયું અને 66 કલાક સુધી આખા દેશવાસીઓ અધ્ધર શ્વાસે આ ખૂની ખેલ જોતા રહ્યા અને છેવટે એક વ્યક્તિને સજા આપીને આપણે ન્યાય થઇ ગયો એમ કહીએ તો શું આ ખરેખર ન્યાય છે?
1993ના બોમ્બ વિસ્ફોટોનો ચૂકાદો હમણાં થોડા સમય પહેલા આવ્યો. 1993ના બોમ્બ વિસ્ફોટોના ચૂકાદામાં પણ જે મુખ્ય ગુનેગારો છે એ નાસતા ફરે છે (અથવા સાચું લખીએ તો પાકિસ્તાનમાં બેસીને મજા કરે છે) અને નાના નાના રમકડાઓને પકડીને સરકાર સજા આપવાનું ગૌરવ લઇ રહી છે. 1993ના બોમ્બ વિસ્ફોટ કેસનો ચૂકાદો આવ્યો ત્યારે અમુક અપરાધીઓ તો ચૂકાદાની રાહ જોતા જોતા ટપકી ગયા હતા.લગભગ 15વર્ષના સમય પછી અમુક નાના લોકોને પકડીને સજા આપો તો શું એ ન્યાય થયો કહેવાય?
વર્ષોથી પાકિસ્તાન આપણી સાથે મેલી રમત રમી રહ્યું છે છતાં પણ મનમોહન સિંઘને પાકિસ્તાન સાથે મંત્રણાઓ કરવાની ગલી ગલી થાય એ યોગ્ય છે? પાકિસ્તાનને ભારત સાથે મંત્રણાની રમતો રમતી જોઇને જે લોકોએ આતંકવાદી હૂમલામાં પોતાના સ્વજનો ગુમાવ્યા છે એમની આંતરડી નહીં કકળતી હોય? ન્યાય ત્યારે જ થયો કહેવાય કે જ્યારે પાકિસ્તાન સાથે કડક હાથે આતંકવાદના મૂદ્દે કામ લેવાય અને જે પણ મુખ્ય ગુનેગારો છે એને ખરા અર્થમાં સજા થાય. આતંકવાદના મૂદ્દે આપણી સરકાર વામણી પૂરવાર થઇ રહી છે અને એના પરિણામ સમગ્ર દેશની જનતા ભોગવી રહી છે. હમણાં ન્યુયોર્કમાં આતંકવાદી હૂમલાનો નિષ્ફળ પ્રયાસ થયો અને 2 દિવસની અંદર જ અમેરિકા સરકારે મુખ્ય સૂત્રધારને ઝડપી લીધો. પાકિસ્તાન સરકારે પણ બીજા અમુક લોકોની આ સંદર્ભે પાકિસ્તાનમાંથી ધરપકડ કરી. 26/11 કેસમાં બધું દિવા જેવું સાફ છે છતાં ભારત સરકાર આગળ પૂરાવા માંગી માંગીને નખરા કરતી પાકિસ્તાનની સરકારે અમેરિકા આગળ તો કોઇ પૂરાવાની માંગણી નથી કરી? જો અમેરિકા પાકિસ્તાનના કાન આમળીને ધરપકડ કરાવી શકતું હોય તો ભારત શા માટે નથી કરાવી શકતું? મને લાગે છે કે પાકિસ્તાન આપણી મજાક ઉડાવે રાખે એ આપણી સરકારને કોઠે પડી ગયું છે.
જ્યારે જ્યારે મનમોહન સિંધને પાકિસ્તાનના વડાપ્રધાન સાથે હરખ ઘેલા થઇને હસ્તધૂનન કરતા જોઉ છું ત્યારે મને અસહ્ય દુ:ખ થાય છે. આપણા દેશના લોકોએ દેશનું શાસન એવા લોકોના હાથમાં સોંપ્યું છે કે જે દેશના દુશ્મનો સાથે હરખઘેલા થઇને હાથ મીલાવે રાખે છે એ વિચારે મને દેશવાસીઓની દયા આવે છે.આપણા દેશના દુર્ભાગ્ય પર દયા આવે છે કે કેવા વામણા નેતાઓ દેશને મળ્યા છે. અંગ્રેજોને ભગાડ્યા તો હવે ઇટાલીથી આવેલા મેડમ આવીને રાજ કરે છે કે જેનો એક અને માત્ર એક જ ઉદ્દેશ સરકાર ટકાવી રાખવાનો છે અને ભારત પર રાજ કરવાનો છે. ગુલામી હજી પણ આપણી માનસિકતામાં અને રગ રગમાં વ્યાપેલી છે એ
દેખાઇ આવે છે. આપણા નેતાઓએ આપણને આત્મસમ્માન વગર હલકું જીવન જીવતા બરાબર શીખવાડી દીધું છે. આતંકવાદ અને મોંઘવારી કરતા ધર્મનિરપેક્ષતા એ વધૂ જરૂરી છે એ આપણા દેશના લોકોના મગજ પર હથોડા મારી મારીને નેતાઓએ ઠસાવી દીધું છે. આપણા નેતાઓએ આતંકવાદને ખતમ કરવા કરતા એને પચાવી જવાનું લોકોને શિખવાડી દીધું છે. લોકોની પેટનો ખાડો પૂરવાની મજબૂરીને આપણા નેતાઓએ સિફતથી resillienceમાં ખપાવી દીધી છે.
મને બસ આ પંક્તિ યાદ આવે છે “हर तरफ जूर्म है बेबसी है, सहेमा सहेमा सा हर आदमी है” આનાથી વધારે હવે શું લખું?
Filed under: આતંકવાદ, ઇન્ડિયા, રાજકારણ, સાંપ્રત પ્રવાહો | Tagged: 1993 મુંબઇ બોમ્મ વિસ્ફોટો, 26/11, અમેરિકા, આતંકવાદ, કસાબ, પાકિસ્તાન, મનમોહન સિંઘ | 7 Comments »