રાજા અને રજવાડા
ગઇકાલે મેં વાંચ્યું કે હવે કોંગ્રેસ પાર્ટીમાં યુવરાજ, મહારાજ, કુંવર, બેગમ જેવા નવાબી કે રજવાડી શબ્દો કોંગ્રેસી નેતાઓ માટે નહીં વપરાય.
Cong cracks down on royalty, abolishes titles
એટલે હવે રાહુલ ગાંધીને હવે કોઇએ યુવરાજ કે પ્રિન્સ નહીં કહેવાનું અને બીજા રજવાડી ખાનદાનના બચ્ચાઓને પણ શ્રીમાન કે શ્રીમતી કહીને જ સંબોધન કરવાનું. કોંગ્રેસ પાર્ટી અને એમાં પણ સવિશેષ ગાંધી પરિવાર કે જે સમગ્ર ભારતને પોતાનું રજવાડું માને છે અને ભારત પર રાજ કરવું એને પોતાનો અધિકાર માને છે એ આવી નાની સરખી પણ પહેલ કરે એ બહુ આવકારવા લાયક છે. રાજા ગયાં અને રજવાડા રહ્યા એવું ક્યાં સુધી ચલાવે રાખવાનું? કહેવાતા રજવાડી વંશજો આજકાલ કોઇ કામના નથી પણ એમના નવાબી ઠસ્સા હજી પણ એમના મગજમાંથી નીકળતા નથી.
ગઇકાલે આ બાબતના જ સમાચાર હું ટીવી પર જોઇ રહ્યો હતો. એમાં માધવરાવ સિંધિયાના બેટા જ્યોતિરાદિત્ય સિંધિયાની એક ક્લીપ બતાવેલી . ( સિંધિયા એ ગ્વાલિયરના મહારાજાઓનું ખાનદાન છે. એનો ઇતિહાસ અહીંથી વાચી શકાય છે.) આ ક્લીપમાં જ્યોતિરાદિત્ય સિંધિયા મસ્ત ગોગલ્સ પહેરીને નવાબી અંદાજમાં ચાલી રહ્યા હતા અને આજુ બાજુના લોકો પીપી (એટલે કે પૈરી પૌના) કરી રહ્યા હતા મને ના સમજાયું કે લોકો કેમ એમના ચરણોની રજ લેવા આટલા વ્યાકુળ હતા? જ્યોતિરાદિત્ય પણ પોતાનો નવાબી ઠાઠ જોઇને ખુશ હતા અને પગે પડનારને હાથ મૂકી મૂકીને આશીર્વાદ આપતા હતા. ક્લીપમાં મેં એક લગભગ 75 -80 વર્ષના માજીને પણ પગે પડતા જોયા અને રાજા સાહેબ માજીને પગે પડતા અટકાવવાના બદલે આશીર્વાદીત કરી રહ્યા હતા.
મને સમજાઇ ગયું કે કોંગ્રેસ કેમ વર્ષો થી આપણા પર રાજ કરતી આવી છે અને હજી પણ કેમ વર્ષો સુધી રાજ કરતી રહેશે.
Long live Kings and their Kingdoms……


તમારું નિરીક્ષણ સાચું છે. આપણા સમાજમાં વાતવાતમાં બીજાને પગે પડનારાંનો અને પાડનારાંનો તોટો નથી. મોટી ઉંમરનાઓને ભાન હોવું જોઈએ કે પોતે શું કરી રહ્યા છે? અને આશિર્વાદ આપનારાંને શું કહેવું?
કદાચ આપણાં લોકોને સ્વમાન જેવી કોઈ સમજ નથી. કોઈથી પણ પ્રભાવિત થઈ જનારી આ પ્રજાની ક્યારેક દયા આવે છે અને ખાસ કરીને 1947 ઓગષ્ટ પછી જન્મેલા યુવક-યુવતીઓ પણ ગુલામો જેવી માનસિકતા ધરાવતા હોય ! હવે તો દેશની સર્વોચ્ચ અદાલતના ન્યાયધીશોએ પણ હાથ ઉંચા કરી કહી દીધું છે કે આ દેશને ઈશ્વર પણ બચાવી શકે તમ નથી ! યુવરાજ કહેવડાવો કે ના કહેવડાવો જ્યાં સુધી તમારું વર્તન સામાન્ય વ્યક્તિ જેવું ના બનાવો ત્યાં સુધી કોઈ ફરક પડતો નથી. યુવરાજ ના કહેવડાવવું તે પણ રાજકારણની જ કૂટનીતિનો એક ભાગ છે ! અસ્તુ !
સ-સ્નેહ
અરવિદ્