Archive

Archive for November 23, 2008

ઇન્ડિયા ડાયરી – ગાંધીજીના ત્રણ વાંદરા અને અમદાવાદનું પ્રાણીસંગ્રહાલય

November 23, 2008 krunalc 1 comment

3 bandar

बूरा मत देखो, बूरा मत कहो, बूरा मत सूनो… આ છે કહેવાતા ગાંધીજીના ત્રણ વાંદરાઓની શીખામણ. આ તસ્વીર મેં અમદાવાદના પ્રાણીસંગ્રહાલયની મૂલાકાત વખતે લીધી હતી.

મેં ઘણા વર્ષો પછી અમદાવાદના પ્રાણીસંગ્રહાલયની મૂલાકાત લીધી. મને આમ તો કંઇ બદલાયેલું ના લાગ્યું. પણ એક વસ્તુ સારી લાગી કે હવે પ્ર્રાણીસંગ્રહાલયની વહીવટી કમીટી કોર્પોરેટ સ્પોંસરશીપ દ્વારા પોતાનો ખર્ચો નિકાળવાની અને સ્વનિર્ભર થવાની મહેનત કરી રહ્યું છે. સિંગાપોરનું ઝુ જોયા પછી તો અમદાવાદના પ્રાણીસંગ્રહાલયના પ્રાણીઓની ખરેખરે દયા આવે. બિચારા પ્રાણીઓ અને પક્ષીઓને એવા જેલ જેવા પાંજરામાં પૂરીને રાખ્યા છે કે એમની જીંદગીનો કોઇ મતલબ જ ના રહે. જંગલનો રાજા સિંહ બિચારો 10 x 10 ના પાંજરામાં બિચારો બિલાડીની જેમ પડ્યો રહ્યો હોય એ જોઇને કોને દયા ના આવે. એક સિંહ માટે મેં જોયું કે ખૂબ વિશાળ પાંજરું હતું જ્યારે બીજા સિંહ માટે 10 x 10 નું નાનું પાંજરું આ વાત મને વિચિત્ર લાગી. વાંદરાઓને તો એવા ના પાંજરામાં પૂરેલા છે કે જો એ જોરથી કૂદકો મારે તો પાંજરાને કે દિવાલોને અથડાઇ જાય. સિંગાપોરના દરેક પ્રાણીને એના અનુરૂપ પ્રાકૃતિક વાતાવરણમાં ખૂલ્લી જગ્યામાં રાખવામાં આવે છે. એનાથી જોનારાને પણ વધારે મઝા આવે અને પ્રાણીઓને પણ કંઇક જીંદગી જેવું લાગે પણ આપણા પ્રાણીસંગ્રહાલયમાં બધાં પ્રાણીઓ બાપડા બિચારાની જેમ નાની જગ્યામાં જાણે કમને પોતાના જીવનના બાકીના દિવસો પૂરા કરી રહ્યા હોય એમ લાગે. આ બાબતે અમદાવાદ પ્રાણીસંગ્રહાલયના ખાલી રીંછ નસીબદાર છે. બે રીંછને પ્રમાણસર એવી ખૂલ્લી જગ્યામાં પાંજરા વગર રાખવામાં આવ્યા છે. કદાચ બધાં પ્રાણીઓ એ બે રીંછની ઇર્ષા કરતા હશે. પણ જો હું ખોટો ના હોઉ તો રીંછની સારસંભાળ માટે કોઇ કોર્પોરેટ સ્પોંસરશીપ છે જેથી કરીને એમની દશા થોડી સારી છે. મને પણ થયું કે ક્યારેક મારી પાસે પણ થોડા પૈસા આવે અને જંગલના રાજા સિંહને સ્પોંસર કરી એના માટે એના નામ અને રૂતબાને અનૂરૂપ પ્રાકૃતિક વાતવરણમાં પાંજરા વગર રહેવાની વ્યવસ્થા કરી આપું.

આપણા ભારત દેશમાં જેમ દરેક માણસની ઇચ્છા હોય છે કે પરદેશ જવા મળે તો સારુ, જીંદગી બની જાય. એમ મારા ખ્યાલથી આ પ્રાણીઓ પણ વિચારતા હશે કે કાશ મારા પાસપોર્ટ પર પણ એકાદ થપ્પો વાગી જાય તો જીંદગી સુધરી જાય.

ઇન્ડિયા ડાયરી – શ્રધ્ધાનો વિષય છે…..

November 23, 2008 krunalc Leave a comment

શ્રધ્ધાનો વિષય છે,પૂરાવાની ક્યા જરૂર છે. કુરાનમાં તો પયગમ્બરની સહી નથી……

આ પંક્તિઓ કોની છે એ તો ખ્યાલ નથી પણ આપણા ભારતીયોના સંદર્ભમાં એકદમ યોગ્ય છે. આપણા ઇન્ડિયામાં અંધશ્રધ્ધા એટલી છે કે પથ્થર એટલા દેવ પૂજાય છે. ભગવાન પર શ્રધ્ધા રાખવી એ ખૂબ જરૂરી છે પણ અંધશ્રધ્ધા ખોટી વસ્તુ છે. આવા જ કેટલાક અનૂભવો મને મારી ઇન્ડિયાની મૂલાકાત વખતે થયા.

અમે લોકો કૂળદેવીમાતાના દર્શન કરવા માટે ચોટીલા ગયા હતા. ચોટીલા માતાના દર્શન કરવા માટે દાદરા ચઢીને પર્વત પર દર્શન કરવા જવું પડે છે. હવે બન્યું એવું કે દાદરા જ્યાંથી શરૂ થાય છે ત્યાં એક ગાય આવી ગઇ અને લોકો આ ગાયને દેવીમાતા સાથે જોડીને પૂજવા લાગ્યા. આપણા દેશમાં ગાય માતા તરીકે પૂજાય છે એ વાત બરાબર પણ આ જ ગાય જો બીજી કોઇ જગ્યાએ ઉભી હોત તો લોકોએ એને મારીને ક્યારની ભગાવી દીધી હોત. પણ ગાય મંદિરના દાદરા પાસે હતી એટલે પૂજાવા લાગી.

બીજી એક જગ્યાએ મેં એક હવન કુંડ જોયો. આપણા દેશમાં બધાં હવન કુંડની રાખને હવન બાદ લેતા હોય છે અને માથા અને કપાળ પર લગાવતા હોય છે. અહીં પણ બધાં લોકો હવનકુંડની રાખને પોતાના માથા પર અને કપાળ પર લગાવતા હતા. પણ મેં જોયું કે એ કોઇ હવન પછીની રાખ નહોતી. એ હવન કુંડમાં તો મેં જોયું કે મંદિરના માણસો અગરબત્તીના ખાલી પેકેટો અને બીજો કચરો સળગાવતા હતા. આપણી પ્રજા આ બધું નજર સામે જોવા છતાં પણ રાખ તો લગાવતા જ હતાં. હવે આને શું કહેવું?

ઘણી બધી વસ્તુઓ આપણે (જેમાં હું પણ આવી ગયો) શ્રધ્ધાથી કરતા હોય છે પરંતુ શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચે પાતળી ભેદરેખા છે જે આપણે સમજવી જોઇએ.

ઇન્ડિયા ડાયરી – ચોપડા પૂજન

November 23, 2008 krunalc Leave a comment

આમ તો મારે ઘરનો કોઇ ધંધો નથી એટલે સત્તાવાર રીતે ચોપડા મેનેજ કરવાની કોઇ માથાકૂટ નથી. પણ દર વર્ષે અમે પરંપરા મુજબ પ્રતિક ચોપડાપૂજન કરીએ છીએ. નીચે આ વખતે કરેલ ચોપડાપૂજનની તસ્વીર છે.  

DSC00797

ચોપડાપૂજન બાદ ઘરના બધાંએ સાથે મળીને બાળકો સાથે ફટાકડા પણ ફોડ્યા હતાં. ટાઉ તો બિચારું પહેલી વખત આવા ફટાકડા ફૂટતા જોઇને નવાઇથી આજુબાજુ જોઇ રહ્યું હતું. એને પણ જો કે મઝા આવી ગઇ એને તારામંડળ પકડાવવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ કદાચ ડરના લીધે એણે તારામંડળને હાથમાં જ ના લીધું.

ઇન્ડિયા ડાયરી – ધનતેરસ પૂજા

November 23, 2008 krunalc 1 comment

આ વખતે પણ ધનતેરસની પૂજા કરી પરિવાર સાથે. ધનતેરસની પૂજામાં એવું કહેવાય છે કે ધરમાં જે પણ ધન હોય એને ભગવાન પાસે મૂકી એની પૂજા કરવી. પણ આજકાલના જમાનામાં તો બધું ધન બેંકોમાં જ હોય છે. એટલે મને એક વિચાર આવ્યો કે ધનની જગ્યાએ debit card મૂકીને પૂજા કરીએ. આ વખતે મારા NRE ખાતાના debit card અને 50 cents ના ડોલરના સિક્કાને મૂકીને પૂજા કરી. આશા રાખું કે લક્ષ્મીમાતા અમે કરેલી પૂજાથી પ્રસન્ન થાય અને મારા NRE એકાઉન્ટને હંમેશા ભરેલું રાખે.

DSC00790

ઇન્ડિયા ડાયરી – પ્રસ્થાન

November 23, 2008 krunalc 2 comments

આ વખતે પણ દિવાળી કરવા માટે સહકુટુંબ ઇન્ડિયા જઇ રહ્યા છે. આ સિઝન ભારતમાં દિવાળી સાથે સાથે NRI સિઝન પણ હોય છે. દિવાળીના દિવસોમાં દુનિયાભરના દેશોમાં વસતા ભારતીયો જલસા કરવા માટે ઇન્ડિયામાં આવી જાય છે. સિંગાપોરથી આવતી વખતે અમારી ફ્લાઇટમાં એક પણ સીટ ખાલી નહોતી એનું કારણ છે કે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડના બધાં ભારતીય મૂળના રહેવાસીઓ પોતાની લાંબી મુસાફરીને સિંગાપોરમાં બ્રેક કરીને ઇન્ડિયાની પહોંચે છે.

આપણા ગુજરાતી ભાઇઓ આમ પણ પહેલેથી ડાહ્યા હોય છે અને વળી NRI થઇ ગયા પછી તો પૂછવું જ શું? ડહાપણની દાઢ જ ફૂટી નીકળે. દરેકને સાચી સલાહ દિલથી વગર માંગ્યે મફતમાં જ આપતા ફરે. વળી ઇન્ડિયાના વિશે ઘસાતું બોલવું એ NRI માટે તો એક ફેશન ગણાય. અમારે ત્યાં આમ અને ઇન્ડિયામાં તો આવું એ વાત તો લગભગ દર બે પાંચ વાક્યોમાં એક તો હોય જ. આવા જ કેટલાક અનુભવો જણાવું છું.

અમે જ્યારે સિંગાપોરથી ફ્લાઇટનું બોર્ડિંગ કરી રહ્યા હતા ત્યારે કોઇ કારણસર એકસાથે બે ફ્લાઇટોનું એક સાથે બોર્ડિંગ થઇ રહ્યું હતું. આથી થોડી ભીડ વધી ગઇ અને બોર્ડિંગમાં ટાઇમ લાગવા લાગ્યો. તરત એક અનૂભવી સજ્જને નિવેદન આપી દીધું કે આ લોકોમાં કોઇ બુધ્ધિ જેવું છે જ નહીં. આ તો બકવાસ સિસ્ટમ છે અમારે ત્યાં તો આવું ના હોય. ફટાફટ બધું કામ પતી જાય. હવે એ ભાઇને કોણ સમઝાવે કે સિંગાપોરના ચાંગી એરપોર્ટને દુનિયાના સૌથી સારા એરપોર્ટમાં ગણવામાં આવે છે અને એરપોર્ટને પેસેન્જર હેન્ડલિંગ અને કાર્યદક્ષતા માટે ઘણા એવોર્ડ પણ મળી ચૂક્યા છે. જે માણસ સિંગાપોરના ચાંગી એરપોર્ટ વિશે આવું વિચારતા હોય તો ખબર નહીં અમદાવાદ એરપોર્ટના ઇમીગ્રેશન અને કસ્ટમ ક્લિયરન્સ વિશે શું કીધું હશે?

અમદાવાદ એરપોર્ટ પર ઉતરતા જ ધૂળ જોઇને લોકો અમદાવાદ અને ઇન્ડિયા વિશે ઘસાતું બોલવાનું ચાલુ… કેટલી ધૂળ છે….. કેટલી લાઇનો છે… કોઇ વ્યવસ્થા જેવું નામ જ નથી. ઇન્ડિયા કોઇ દિવસ આગળ નહીં વધી શકે. વગેરે વગેરે….

એક વાત એ પણ છે કે NRI જે ઇન્ડિયાની બહાર જાહેર જીવનમાં discipline સાથે જીવતો હોય અને Sorry, thank you વાતવાતમાં બોલતો હોય છે એ ઇન્ડિયા આવીને એક્દમ બદલાઇ જાય છે. જો કદાચ એ discipline સાથે જીવવા પણ માંગતો હોય તો પણ કદાચ સંજોગો અને લોકો એને એમ નથી કરવા દેતા. અમદાવાદ એરપોર્ટ પર ઉતરતા જ એટલી ભીડ હતી કે સામાન લઇને બહાર આવેલા લોકો માંડ માંડ ભીડમાંથી બહાર નીકળી શકતા હતા. એમાં કોઇક વળી પોતાના સ્વજનને મળવા વળી ખૂબ આતુર હતું તો એમણે ભીડમાં પોતાના સ્વજનને લાઇનમાં બહાર આવતા જોઇને સલાહ પણ આપી દીધી કે “હવે ઘૂસ મારો લાઇનમાં તુ તો હવે ઇન્ડિયામાં છે… અહીં તો આવું બધું જ ચાલે….” બસ આ મેન્ટાલિટી જ આપણા ઇન્ડિયાને ડૂબાડે છે…..