નવજાત બાળકો પર થતી ક્રુરતા
જ્યારે કઇક ખરાબ દુનિયામાં કે સમાજમાં ખરાબ થાય છે ત્યારે ઘરડા લોકો કાયમ કહેતા રહેતા હોય છે કે કળિયુગ આવ્યો છે. આપણા શાસ્ત્રો પણ કહે છે કે કળિયુગ આવશે, દુનિયામાં પાપ વધશે અને માનવજાતિનો વિનાશ થશે. આજકાલ જ્યાં જુઓ ત્યા એવા બનાવો વિશે જાણવા મળે છે કે એમ થાય કે માણસ પોતાની માણસાઇ ભૂલી રહ્યો છે. માણસ માણસ મટીને જાનવર બની રહ્યો છે અને આ અમાનુષતાનો સૌથી વધારે ભોગ જો કોઇ બનતું હોય તો એ છે નિર્દોષ બાળકો છે. બાળકોને જન્મ આપીને કચરાપેટીમાં ફેકી દેવું એ તો જાણે સામાન્ય બની ગયું છે. સગી મા પોતાના નવજાત શિશુ સાથે આવું અમાનવીય વર્તન કરે એ કેટલું ક્રુર છે. જો માતા પોતાના બાળકનું જતન ના કરી શકતી હોય તો બાળકને જન્મ આપીને બાળકને શા માટે જીંદગીભર દોઝખભરી જીંદગી જીવવા મજબૂર કરતા હોય છે. નાદાનિયતમાં મા બાપે કરેલી ભૂલોની સજા આખી જીંદગી બાળક શા માટે ભોગવ?.
ગયા અઠવાડિયે એક એવો બનાવ જાણ્યો કે જાણીને મન ખૂબ દ્રવી ઉઠ્યું. કદાચ આ બનાવે જ આ લખવા માટે મને મજબૂર કર્યો છે. મુંબઇમાં ગયા અઠવાડિયે કચરાપેટીમાંથી એક નવજાત બાળક મળ્યું જેને માબાપ દ્રારા ત્યજી દેવામાં આવ્યું હતું અને ખૂબ જ ધારદાર હથિયાર વડે તેના શરીર અને માથાના ભાગ પર 26 ધા કરવામાં આવ્યા હતા. જે બાળક દુનિયામાં આવ્યે હજી થોડા કલાકો થયા છે એવા નાજુક અને માસૂમ બાળક પર આવો ક્રુર અત્યાચાર કરતા માણસનો જીવ કઇ રીતે ચાલે. શું દુનિયામાં આટલી જ માણસાઇ રહી છે. પણ કહેવાય છે ને કે રામ રાખે તેને કોણ ચાખે? એ બાળકને સવારે કોઇ દૂધવાળા ભૈયાએ જોયુ અને એ બાળકને હોસ્પિટલમાં દાખલ કર્યું. દાખલ કરતા સમયે એ બાળકની હાલત ખૂબ જ નાજુક હતી. એના શરીરનું મોટાભાગનું લોહી વહી ગયું હતું અને જીવવાની આશાઓ નહીંવત હતી. પણ મુંબઇની હોસ્પિટલના તબીબોએ બાળકને બચાવવા માટે કમર કસી અને કદાચ ભગવાન પણ એને આ જાલીમ દુનિયામાં સંઘર્ષ કરીને જીવાડવા માંગતો હશે અને બાળક જીવી ગયું. અત્યારે આ બાળક મુંબઇની હોસ્પિટલમાં આઇસીયુમાં છે અને જીવન માટે સંઘર્ષ કરી રહ્યું છે. ટીવી પર સમાચારમાં અને ન્યુઝ પેપરમાં બાળકનો ફોટો જોઇને એમ લાગે કે આટલા માસૂમ બાળક પર આવું ઘાતકી કૃત્ય કોઇ કઇ રીતે કરી શકે. હવે આ બાળકનું ભવિષ્ય શું છે કોને ખબર?
બીજો આવો એક કિસ્સો આજે ગુજરાત સમાચારમાં વાંચ્યો. જેમાં પિતાએ પોતાની માત્ર 4 મહીનાની દીકરીને પંખાથી ઉંધી લટકાવી અને બાળકીને મારી નાંખવાનો પ્રયત્ન કર્યો હતો. એ નાની બાળકીનો ગુનો એટલો જ હતો કે એ બાળકી છોકરી હતી અને પિતાને છોકરો જોઇતો હતો. થોડા દિવસ પહેલા સમાચારમાં પણ સાંભળ્યું હતું કે 70 વર્ષના દાદીમાએ પોતાના છોકરાની નવજાત બાળકીને ગળું દબાવીને મારી નાંખી હતી. જો છોકરી ના જ જોઇતી હોય તો અત્યારે વ્યવસ્થાઓ છે જેનાથી ગર્ભ પરીક્ષણ કરીને બાળકનું લિંગ જન્મ પહેલા જાણી શકાય છે. મારા મતે જન્મ આપીને જીવને મારવાનું હિચકારું કૃત્ય કરવું એના કરતા જન્મ પહેલા જ નિકાલ કરવો મારા મતે વધારે યોગ્ય કહેવાય.
સ્માજમાં આવા ઘણાં હિચકારા કૃત્યો થતા હોય છે અને નવજાત બાળકો મોટાભાગે આવા જુલ્મોના શિકાર થાય છે. આજની તારીખમાં ઘણાં દંપત્તિઓ એવા છે કે જેમના નસીબમાં કોઇ કારણસર સંતાનસુખ નથી લખાયેલું હોતું. જો આવા દંપત્તિઓ આવા તરછોડાયેલા બાળકોને અપનાવે તો કદાચ સમાજમાં આવા હિચકારા કૃત્યો ઓછા થાય અને બાળક અને દંપત્તિઓની જીંદગી ખૂશહાલ બને. પણ સમાજ હજી પણ આવો માઇન્ડસેટ નથી કેળવી શક્યો.
આવા બનાવો વાંચીને કે જાણીને રુહી પર વધુ ને વધુ પ્રેમ વરસાવવા પ્રયત્ન કરુ છું. દિલના ઉંડાણમાં એક ખૂબ જ તીવ્ર ઇચ્છા છે કે સમાજના આવા less previleged બાળકો માટે કઇ કરવું છે પણ અત્યારે અમુક કારણોસર આ વિચારો ઠોસ આકાર લઇ નથી શકતા. તેમ છતાં આ મહીને CRYમાં બે બાળકોને એક વર્ષ માટે ભણાવવા માટે આર્થિક સહાય આપી છે. જો મારા કરેલા આ કર્મથી બે બાળકોની જીંદગી બની શકતી હોય તો કદાચ જીંદગી જીવ્યાનો સંતોષ થાય.


લોકોના અભિપ્રાયો